બોટાદ શહેરની મધ્યમાંથી પસાર થતી મધુમતી નદીને સ્વચ્છ બનાવવા માટે બોટાદ નગરપાલિકા દ્વારા વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ કામગીરીમાં વોર્ડ નંબર 9 ના જાગૃત કોર્પોરેટર છત્રજીતભાઈ ધાધલ પોતે સ્થળ પર હાજર રહીને પ્રશંસનીય કામગીરી કરી રહ્યા છે.છત્રજીતભાઈ ધાધલ માત્ર આદેશ આપીને અટકી જનારા નેતા નથી, પરંતુ તેઓ પોતે સવારથી જ મધુમતી નદીના પટમાં હાજર રહી સફાઈ કામગીરીનું સીધું નિરીક્ષણ કરી રહ્યા છે.

ચોમાસા પૂર્વે અને શહેરની સુંદરતા જાળવી રાખવા માટે નદીમાં જામેલા કચરા અને જંગલી વનસ્પતિને દૂર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.કોર્પોરેટરની આ સક્રિયતાને કારણે સફાઈ કામદારોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો અને કામની ગુણવત્તામાં પણ સુધારો જોવા મળ્યો છે.

વોર્ડ નંબર 9 ના રહિવાસીઓએ છત્રજીતભાઈની આ કાર્યપદ્ધતિને બિરદાવી છે. સ્થાનિકોનું કહેવું છે કે, જ્યારે ચૂંટાયેલા પ્રતિનિધિ પોતે મેદાનમાં ઉતરીને કામ કરાવતા હોય ત્યારે પ્રજાના પ્રશ્નોનું ઝડપી અને યોગ્ય નિરાકરણ આવે છે.મધુમતી નદીને ગંદકીમુક્ત કરવાના આ ભગીરથ કાર્યમાં છત્રજીતભાઈ ધાધલના સમર્પણની સમગ્ર બોટાદ શહેરમાં ચર્ચા થઈ રહી છે.