અહેવાલ – પારસ ગાંધી સિટી સમાચાર

આજે ૨૧ જૂન, ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ ના પાવન અવસરે સમગ્ર વિશ્વ જ્યારે યોગમય બન્યું છે, ત્યારે ઐતિહાસિક તીર્થધામ સારંગપુર સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે પણ આ દિનની અત્યંત ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. BAPS સંસ્થાના આધ્યાત્મિક વડા પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના દિવ્ય સાંનિધ્યમાં યોજાયેલા આ કાર્યક્રમમાં શારીરિક સ્વાસ્થ્ય અને આધ્યાત્મિક શાંતિનો અદ્ભુત સમન્વય જોવા મળ્યો હતો.ભારતીય સંસ્કૃતિની પ્રાચીન ધરોહર સમાન ‘યોગ’ ના મહિમાને ઉજાગર કરવા માટે સારંગપુર મંદિર પરિસરમાં વહેલી સવારે એક વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્થાના સંતો, યુવકો અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત હરિભક્તોએ વિવિધ યોગાસનો અને પ્રાણાયામનો અભ્યાસ કર્યો હતો.

શિસ્તબદ્ધ રીતે થયેલા આ સામૂહિક યોગાભ્યાસથી સમગ્ર વાતાવરણ ઊર્જાવાન અને પવિત્ર બની ગયું હતું.ભારતીય ઋષિમુનિઓએ આપેલું યોગશાસ્ત્ર માત્ર શારીરિક કસરત પૂરતું સીમિત નથી. ‘યોગ’ નો સાચો અર્થ છે જોડાણ – આત્માનું પરમાત્મા સાથેનું મિલન. જો શરીર સ્વસ્થ હશે, તો જ ભગવાનની ભક્તિ અને સમાજની સેવા ઉત્તમ રીતે થઈ શકશે. આ જ ઉદ્દેશ્ય સાથે આજની આ ઉજવણી કરવામાં આવી હતી.

આ દિવ્ય પ્રસંગે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે સૌને પોતાના આશીર્વાદ પાઠવ્યા હતા. સ્વામીશ્રીએ ઉપસ્થિત સૌ ભક્તોને નિયમિત યોગાસન, પ્રાણાયામ અને વ્યાયામ કરવાની પ્રેરણા આપી હતી. પ.પૂ. મહંત સ્વામી મહારાજના આશીર્વાદ અને માર્ગદર્શન હેઠળ સારંગપુરમાં ઉજવાયેલો આ ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ સૌના માટે સ્વાસ્થ્ય, શાંતિ અને ભક્તિનો એક અનોખો સંદેશ આપી ગયો.
