બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં મુખ્ય માર્ગની હાલત અત્યંત બિસ્માર બની છે. લીંબડી ત્રણ રસ્તાથી મનુભાઈ શેઠ સ્કૂલ સુધીનો આ રસ્તો મસમોટા ખાડાઓથી ભરાઈ ગયો છે, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ચોમાસામાં સ્થિતિ વધુ ગંભીર બનતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

શહેરના પ્રવેશદ્વાર સમાન આ મુખ્ય માર્ગ પર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળે છે. રાણપુર, જે લગભગ 30 હજારની વસ્તી અને 36 ગામોનું વહીવટી કેન્દ્ર છે, ત્યાં સારા રસ્તાનો અભાવ સ્પષ્ટપણે વર્તાય છે.

સ્થાનિકોના આક્ષેપ મુજબ, તંત્ર દ્વારા રસ્તાઓ ખોદવામાં આવે છે, પરંતુ ત્યારબાદ તેનું યોગ્ય સમારકામ કરવામાં આવતું નથી. ચોમાસાની શરૂઆત સાથે જ ખાડાઓમાં વરસાદી પાણી ભરાઈ જાય છે, જેનાથી વાહનચાલકો માટે ખાડાનો અંદાજ લગાવવો મુશ્કેલ બને છે. પસાર થતા વાહનોના કારણે પાણી રાહદારીઓ પર ઉડતાં બોલાચાલીના બનાવો પણ બને છે.રાણપુરના સ્થાનિક ગોપાલ બોળીયાએ જણાવ્યું હતું કે, દરરોજ હજારો લોકો આ માર્ગ પરથી અવરજવર કરે છે, અને સરકારી અધિકારીઓ પણ આ જ રસ્તાનો ઉપયોગ કરે છે. તેમ છતાં રોડની હાલત સુધારવા કોઈ અસરકારક કાર્યવાહી થતી નથી. જિલ્લા મથકથી માત્ર 25 કિલોમીટર દૂર આવેલા રાણપુરની આ સ્થિતિ સામે સ્થાનિકોમાં ભારે અસંતોષ છે.લોકો તાત્કાલિક રસ્તાનું કામ કરવાની માંગ કરી રહ્યા છે અને જો કામગીરી કરવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ ગોસુભા પરમારે રસ્તાઓની ખરાબ હાલત સ્વીકારી હતી. તેમણે જણાવ્યું કે, રાણપુરના રસ્તાઓ આરએમબી સ્ટેટ અને આરએમબી પંચાયત હેઠળ આવે છે. છેલ્લા ત્રણ વર્ષથી આ રસ્તાઓ પંચાયત હસ્તક કરવા માટે પત્રવ્યવહાર કરવામાં આવી રહ્યો છે.સરપંચે ઉમેર્યું કે, જો આ રસ્તાઓ પંચાયતને સોંપવામાં આવે તો તેઓ તેની યોગ્ય તકેદારી લઈ શકે. પંચાયતની મર્યાદામાં રહીને પણ તેઓ રિપેરિંગ કરતા રહે છે. તેમણે લીંબડી ત્રણ રસ્તાથી મુખ્ય માર્ગની હાલત ખરાબ હોવાનું પુનરાવર્તન કર્યું. શનિવારે સંકલન સમિતિની બેઠક દરમિયાન આરએમબી વિભાગે આ રસ્તાની કામગીરી માટે એજન્સી ફાળવી દીધી હોવાનું અને રિપેરિંગ કરવાની બાંહેધરી આપી હોવાનું સરપંચે જણાવ્યું હતું.દિવ્ય ભાસ્કરને Google પર મનપસંદ સોર્સ બનાવો