બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરના યજ્ઞપુરુષ સભામંડપ ખાતે ‘સ્વદેશોત્સવ’ અંતર્ગત સ્વદેશ–સ્વાભિમાન–સ્વાલંબન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ તાલુકા પ્રમુખ તથા તાલુકા વિકાસ અધિકારી કે.બી. પટેલના નિમંત્રણથી યોજાયો હતો.

કાર્યક્રમમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી (સામાજિક ન્યાય અને અધિકારિતા, પ્રાથમિક, માધ્યમિક, પ્રૌઢ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ) ડૉ. પ્રધુમન વાજા અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં અંગદાન જનજાગરણના પ્રણેતા તથા સામાજિક કાર્યકર દિલીપભાઈ દેશમુખ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ જેઠીબેન પાલાભાઈ પરમાર, બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ, ધારાસભ્ય કાળુભાઈ ડાભી, ભાવનગર જિલ્લા પ્રભારી બ્રિજરાજસિંહ ઝાલા, સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી હિમંતભાઈ પડશાળા, હિતેન્દ્રસિંહ ડાયમાં, ભાવિકભાઈ ખાચર; જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનીયા, પોલીસ અધિક્ષક તેમજ તાલુકા પંચાયતના સદસ્યો, સંગઠનના હોદ્દેદારો અને બરવાળા તાલુકાના વિવિધ ગામોના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન પુ. આત્મતૃપ્ત સ્વામી દ્વારા આશીર્વચન આપવામાં આવ્યા હતા. B.L.O. તરીકે શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. સ્વદેશી કીટનું ૫૦૦ લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું તેમજ સ્વદેશી પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી. અંગદાન ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન બદલ અંગદાતાઓના પરિવારજનોનું સન્માન કરવામાં આવ્યું અને અનેક લોકોએ અંગદાનની પ્રતિજ્ઞા લીધી હતી.

સાથે સાથે બરવાળા તાલુકાના અનુસૂચિત જાતિના શ્રેષ્ઠીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. દિલીપભાઈ દેશમુખે પોતાના ઉદબોધનમાં માનવતાના મહત્ત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે એક બ્રેઈન ડેડ વ્યક્તિ દ્વારા આઠ જેટલાં લોકોને નવું જીવન મળી શકે છે. તેમણે સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ તથા અંગદાનના મહત્વ અંગે સંવેદનશીલ માર્ગદર્શન આપ્યું. અધ્યક્ષસ્થાનેથી ડૉ. પ્રધુમન વાજાએ ‘લોકલ ફોર વોકલ’ના ભાવ સાથે ‘હર ઘર સ્વદેશી’નો સંદેશ આપ્યો હતો.

તેમણે શિક્ષણની ગુણવત્તા, તેની આવશ્યકતા તથા છેલ્લા પાંચ વર્ષમાં અંગદાન ક્ષેત્રે થયેલી જાગૃતિ અંગે આંકડાકીય માહિતી રજૂ કરી હતી.કાર્યક્રમના અંતે સાળંગપુર ખાતે અનુસૂચિત જાતિના બંધુઓ સાથે ખાટલા બેઠક યોજી તેમના પ્રશ્નો સાંભળી સ્થળ પર જ ઉકેલ લાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા BAPS પરિવાર, બરવાળા તાલુકાના નાગરિકો, તાલુકા પંચાયત કચેરીના સ્ટાફ તેમજ તલાટી-કમ-મંત્રીઓએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું