કમોસમી વરસાદના માર વચ્ચે ખેત શ્રમિકો મેદાને, સહાયની માંગ સાથે વિશાળ રેલી યોજી
રાજ્યમાં થયેલા કમોસમી વરસાદે ખેડૂતોની સાથે સાથે ખેતી પર નભતા શ્રમિકોની કમર પણ તોડી નાખી છે. ગઢડામાં આજે ખેત શ્રમિકોએ પોતાની પડતર માંગણીઓ અને અન્યાય સામે રણશિંગુ ફૂંક્યું છે. પાક નુકસાનીમાં ખેડૂતોને મળતી સહાયમાંથી શ્રમિકો વંચિત રહેતા હોવાના આક્ષેપ સાથે આજે ગઢડામાં શ્રમિકોની એક વિશાળ રેલી નીકળી હતી.

રેલીમાં જોડાયેલા શ્રમિકોએ મુખ્યત્વે 27થી 30 ટકા ભાગીયા તરીકે ખેતી કરતા મજૂરોને થતા અન્યાયનો મુદ્દો ઉઠાવ્યો હતો. શ્રમિકોના જણાવ્યા અનુસાર:કમોસમી વરસાદને કારણે પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે.

સરકાર દ્વારા જાહેર કરવામાં આવતી સહાય માત્ર જમીન માલિકો સુધી મર્યાદિત રહે છે.ખેતીમાં રાત-દિવસ મહેનત કરનારા ભાગીયા શ્રમિકોને આ આર્થિક મદદમાંથી બાકાત રાખવામાં આવે છે.ગઢડાના રીવરફ્રન્ટ ખાતે મોટી સંખ્યામાં શ્રમિકો એકઠા થયા હતા. ત્યાંથી મામલતદાર કચેરી સુધી ‘અમને ન્યાય આપો’ ના નારા સાથે રેલી યોજવામાં આવી હતી.

રેલીના અંતે શ્રમિકોએ ગઢડા મામલતદારને આવેદનપત્ર પાઠવીને તાત્કાલિક સહાય આપવાની ઉગ્ર માંગ કરી હતી.આ રેલીમાં ખાસ કરીને 200થી 500 કિલોમીટર દૂરથી રોજગારી માટે આવેલા શ્રમિકો મોટી સંખ્યામાં જોડાયા હતા.

ઘરબાર છોડીને ખેતી કામ માટે આવેલા આ પરિવારો પાસે અત્યારે જીવનનિર્વાહ માટે કોઈ સાધન બચ્યું નથી.શ્રમિકોએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે, જો સરકાર દ્વારા ભાગીયા શ્રમિકો માટે વહેલી તકે સહાયની જાહેરાત કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ગાંધીનગર ખાતે ઉગ્ર આંદોલન કરવામાં આવશે.