સુપોષિત બોટાદ અભિયાન અંતર્ગત આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લેતાં પી.જી.વિ.સી.એલ.ના અધિક્ષક ઈજનેર

બોટાદ જિલ્લા કલેક્ટરશ્રી ડો.જીન્સી રોયના માર્ગદર્શન હેઠળ અમલમાં મૂકાયેલ સુપોષિત બોટાદ અભિયાન અંતર્ગત પી.જી.વિ.સી.એલ. બોટાદ વર્તુળ કચેરીનાં અધિક્ષક ઈજનેર કે.ડી. નિનામા દ્વારા બોટાદ તાલુકાનાં વિવિધ આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લેવામાં આવી હતી.આ દરમ્યાન બોટાદ તાલુકાનાં હડદડ ગામનાં આંગણવાડી કેન્દ્ર નં. 3 તેમજ કાનીયાડ ગામનાં આંગણવાડી કેન્દ્ર નં. 1 અને 2ની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન કુપોષિત બાળકો તથા તેમનાં વાલીઓ સાથે રૂબરૂ મુલાકાત કરી બાળકોનાં આરોગ્ય અને પોષણની સ્થિતિ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
હડદડ-3ના આંગણવાડી કેન્દ્રનાં બાળક યુવરાજ અને કાનીયાડ-2ના આંગણવાડી કેન્દ્રની બાળકી બેબી નિલેશભાઈ, જે બંને પોતાનાં મોસાળ ગામમાં રહેતાં હોવાથી અનુક્રમે રસનાળ અને પીપળીયા ટાટમ ગામની આંગણવાડી કેન્દ્રોની પણ મુલાકાત લેવામાં આવી હતી. આ દરમિયાન બાળકોની ઊંચાઈ, વજન અને પોષણ સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આંગણવાડી રજીસ્ટરમાં નોંધાયેલ માહિતી સાથે તુલના કરતાં બાળકોની વૃદ્ધિ અને વિકાસમાં પ્રગતિશીલ સુધારો જોવા મળ્યો હતો.
આ પ્રસંગે વાલીઓને આંગણવાડીમાંથી આપવામાં આવતા બાલ શક્તિ મિશ્રણમાંથી વિવિધ પૌષ્ટિક વાનગીઓ જેમ કે રાબ, શીરો, મેથીના મુઠિયા, સુખડી, પુડલા, ઇડલી, ઢોકળાં તેમજ ચણા અને તુવેરની દાળનો લચકો બનાવી બાળકોને ખવડાવવાના ફાયદાઓ વિશે માહિતી આપવામાં આવી. સાથે જ ગાયનું દૂધ, ઋતુગત ફળોનો રસ તથા શિયાળાની ઋતુને અનુરૂપ અડદિયો, ગુંદરપાક અને મગનું પાણી જેવા પૌષ્ટિક આહાર બાળકોને આપવાની સમજણ આપવામાં આવી હતી.
તદુપરાંત ધાત્રી માતાઓને સમતોલ આહારના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. આંગણવાડી કેન્દ્ર ખાતે બનાવવામાં આવેલી સુખડી, લચકા દાળ અને ભાખરી સ્વાદિષ્ટ તથા ગુણવત્તાયુક્ત હોવાનું પણ નિરીક્ષણ દરમિયાન જણાયું હતું.
