રાણપુર તાલુકાના શ્રમિકોને આરોગ્ય ક્ષેત્રે સીધો લાભ મળશે
ગુજરાત સરકાર દ્વારા બાંધકામ શ્રમિકો અને ગરીબ નાગરિકો માટે ઘરઆંગણે નિઃશુલ્ક પ્રાથમિક સારવાર, દવાઓ અને લેબોરેટરી ટેસ્ટ (બ્લડ, સુગર, મેલેરિયા) પૂરી પાડવા ધનવંતરી આરોગ્ય રથ શરૂ કરવામાં આવ્યા છે. જેના અનુસંધાને બોટાદ કલેકટરશ્રી ડો.જીન્સી રોયે આરોગ્ય રથનું જિલ્લા સેવા સદન બોટાદ ખાતે લોકાર્પણ કરાયું હતું.

આ ધન્વંતરી રથ થકી રાણપુર તાલુકાના બધા ગામોના બાંધકામ શ્રમિકોને આરોગ્ય ક્ષેત્રે તેનો સીધો લાભ મળશે. જેમાં તાલુકામાં ચાલતી બાંધકામ સાઈટો, કડિયાનાકા, શ્રમિકોની વસાહત તથા શ્રમિકોના કામના સ્થળે કેમ્પ ગોઠવી શ્રમિકોની શારીરિક તપાસ કરી તાવ, શરદી, ઉધરસ, ઉલ્ટી, ચામડીના રોગો વગેરેની નિ:શુલ્ક પ્રાથમિક સારવાર અને જરૂર જણાય તો સ્થળ ઉપર જ લોહી-પેશાબના રીપોર્ટ કરી જરૂરી દવાઓ આપવામાં આવશે.

બોટાદ જિલ્લામાં રાણપુર તાલુકાનાં તમામ ગામોના લોકોની જન સુખાકારીમાં વધારો થાય તે માટે ધન્વંતરી આરોગ્ય રથ આપીને આરોગ્યની સેવાઓને વધુ અસરકારક બનાવવામાં આવેલ છે.

આ ધન્વંતરી આરોગ્ય રથનાં લોકાર્પણ અન્વયે અધિક કલેકટરશ પી.એલ.ઝણકાત, મદદનીશ સરકારી શ્રમ અધિકારી.એમ.ટી હડાલીયા, પ્રોજેક્ટ મેનેજર.એમ.પી.ચૌહાણ, બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડનાં સ્ટાફ તથા ધન્વંતરી આરોગ્ય રથના કો.ઓડીનેટર અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.